ગુરુના મીન પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ૨૦૨૨

 E. A. Rodrigues, Public domain,
via Wikimedia Commons


એપ્રિલ ૧૩, ૨૦૨૨ના રોજ ૧૫.૪૯ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ આશરે એક વર્ષ સુધી એટલે કે એપ્રિલ ૨૨, ૨૦૨૩ સુધી મીનમાં ગોચર ભ્રમણ કરશે. મીન રાશિ એ ગુરુની પોતાની રાશિ હોવાથી ગુરુ બળની પ્રાપ્તિ કરશે. ગુરુ એ જ્ઞાન, વિદ્યા, ડહાપણ, વિસ્તૃતિકરણ, ધર્મ, સમૃદ્ધિનો કારક છે તેમજ નવેય ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ગત કેટલાંક વર્ષોથી શનિની રાશિઓ મકર અને કુંભમાં વિચરણ કરીને નિર્બળ બનેલાં ગુરુ મહારાજનું હવે સ્વરાશિ મીનમાં બળવાન બનવું એ એક શુભ અને રાહતરૂપ ઘટના કહી શકાય.

ગુરુનું આ મીન રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળ જન્મલગ્ન અનુસાર ચકાસવાથી પણ વધુ સ્પષ્ટતા મળી શકશે.

મેષ: ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે છે. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંત પ્રિય લાગે અને એકાંતમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક સાધનાઓ અને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ નો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતની અપેક્ષા વગર નિ:સ્વાર્થભાવે અન્યોની સેવા કરવાં ઉત્સુક રહી શકો છો. શાંત અને ખલેલ વગરની ગાઢ નિદ્રા માણી શકાય. સ્વપ્નમાં સ્પષ્ટરૂપે માર્ગદર્શન આપતાં સંકેત મળી શકે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી શકે છે. શુભ અને માંગલિક કાર્યો કે દાન-ધર્માદા હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે. નવી સ્થાવર મિલકત તેમજ વાહનની ખરીદી થઈ શકે. નોકર-ચાકર વર્ગને લીધે રહેતી સમસ્યાઓ હળવી બને. વિદેશની મુસાફરી કરવાનો પ્રબળ યોગ બને. આ ભ્રમણ દરમિયાન શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. મોસાળપક્ષ સાથેનો સંબંધ મધુર બને. બીમારીમાંથી સાજા થઈ શકાય. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક કે તબીબી પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

વૃષભ: ગુરુ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. આર્થિક સમૃદ્ધિ અને આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. એક કરતાં વધુ સ્ત્રોતથી નાણાનું આગમન થઈ શકે. નોકરીમાં પગાર વધારો તેમજ વ્યવસાયમાં નફામાં વૃદ્ધિ થઈ શકે. મિત્રવર્તુળમાં વધારો થાય. નવી લાભદાયી ઓળખાણો બને. કોઈ ગ્રુપ કે સંસ્થા સાથે જોડાઈ શકાય. જૂથમાં રહીને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. સામાજીક રીતે વધુ સક્રિય બનો તેવું બને. મિત્રોને લીધે ધનલાભ થઈ શકે છે. યુવા જાતકો મૈત્રી સંબંધનું પ્રણય સંબંધમાં રૂપાંતર કરી શકે. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. અપરિણીત જાતકોની વિવાહના બંધનમાં જોડાવાની શક્યતા પ્રબળ બને. પરિણીત જાતકો લગ્નજીવનમાં સુખ અને મધુરતાની અનુભૂતિ કરી શકે. સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક દંપતિઓ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ રહી શકે છે. વિવાહયોગ્ય સંતાનના લગ્નની શરણાઈઓ વાગી શકે. સંતાન માટે આ સમય પ્રગતિજનક રહે. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓ, સપનાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિ થતી જણાય. શેરબજારથી લાભ થાય. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં ઈચ્છિત સફળતાની પ્રાપ્તિ થાય.

મિથુન: ગુરુ દસમભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગની રચના થશે. આજીવિકા અને કર્મ હેતુ ગુરુનું આ ભ્રમણ ઉત્તમ સાબિત થઈ શકે છે. વ્યાપારનો વિસ્તાર કરી શકાય. નવા વ્યાવસાયિક સાહસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. નવી નોકરી મેળવવા માટે કે નોકરી બદલવા માટે આ સમય શુભ રહે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉપરી અધિકારીઓ પ્રસન્ન રહે અને તેમનાં સાથ-સહકારની પ્રાપ્તિ થઈ શકે. કામને લીધે પુરસ્કાર કે એવોર્ડ વગેરે મળી શકે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. બચત થઈ શકે છે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ-શાંતિનું વાતાવરણ રહે. કુટુંબ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. માતા-પિતા માટે આ ભ્રમણ લાભદાયી રહે. માતા-પિતાના પદ કે સત્તામાં વધારો થઈ શકે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળી શકે. શારીરિક તંદુરસ્તી જળવાય રહે. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

કર્ક: ગુરુ નવમભાવમાંથી ભ્રમણ કરશે. ભાગ્યની વૃદ્ધિ થઈ શકે છે. બૌદ્ધિકતા, તંદુરસ્તી, આત્મવિશ્વાસ, પ્રસન્નતા, રચનાત્મકતા અને સકારાત્મકતામાં વધારો થાય. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા તીવ્ર બને. આ સમય સારા અને શુભ કર્મો કરીને વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો રહે. લાંબી તેમજ ટૂંકી મુસાફરીઓ થઈ શકે છે. ગુરુના નવમસ્થાનમાં ભ્રમણને લીધે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. ગુરુ, સંત કે શિક્ષકના આશીર્વાદ અને સ્નેહની પ્રાપ્તિ થઈ શકે. પિતા, નાના ભાઈ-બહેનો, સંતાન અને પૌત્ર-પૌત્રીઓ સાથેના સંબંધો મધુર બને. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. શેરબજાર, મીડિયા અને કોમ્યુનિકેશનથી લાભ થાય. લેખન અને અધ્યાપન સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ નીવડવાની સંભાવના છે. પરિણીત યુગલો માટે આ ભ્રમણ સંતાનજન્મને આવકારવા માટે શુભ રહે. વડીલોને પૌત્ર-પૌત્રીના જન્મની ખુશાલીની પ્રાપ્તિ થાય. નવયુવાનોના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. વિદ્યાર્થીમિત્રોની યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય તેમજ ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહ: ગુરુ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભ્રમણ વિચારો, માન્યતાઓ અને મૂલ્યોમાં બદલાવ લાવનારું સાબિત થઈ શકે છે. જીવન અને વ્યક્તિત્વમાં સર્વાંગી પરિવર્તન લાવનારી ઘટનાઓ ઘટે. આત્મમંથન દ્વારા કષ્ટો પર કાબુ મેળવી શકાય. મનને સમજવાની ચાવી જડી આવે. જીવનની ગુપ્ત અને રહસ્યમય બાબતો અથવા જ્યોતિષ જેવી વિદ્યાઓ જાણવા-સમજવાંની રુચિમાં વધારો થાય. જ્યોતિષ અને અધ્યાત્મમાં ઊંડા ઉતરી શકાય. વારસાગત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. જીવનસાથી દ્વારા પણ નાણાકીય લાભ થવાની સંભાવના રહે. પરદેશ સાથે સંકળાયેલી બાબતોથી લાભ રહે. નવી સ્થાવર મિલકત અને વાહનની ખરીદી થઈ શકે. કુટુંબના સભ્યોને સાથે જોડીને રાખી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. આરોગ્ય બાબતે સાવધ રહેવું. આ ભ્રમણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી. આ સમય સંતાનજન્મને આવકારવા માટે પ્રતિકૂળ ગણી શકાય. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી જોઈએ. સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ લાભદાયી નીવડે.

કન્યા: ગુરુ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગ રચાશે. જીવનમાં સકારાત્મક ઉર્જા, દૈવીય આશીર્વાદ તેમજ અનેક શુભ તકોની પ્રાપ્તિ થાય. વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. સપ્તમભાવનો ગુરુ કોઈ વધુ પ્રયત્ન વગર સરળતાથી વિવાહ સંબંધ જોડી આપે. પ્રેમમાં પડેલાંઓને માતા-પિતાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે. પરિણીત જાતકો જીવનસાથી સાથે રહેલાં મતભેદો દૂર કરીને ફરી લગ્નજીવનની મધુરતાનો આનંદ માણી શકે. અલગ પડવાનું વિચારી રહેલાં યુગલો એકબીજાને વધુ એક તક આપી નિર્ણય પર પુનર્વિચાર કરી શકે. નવી વ્યાવસાયિક ભાગીદારીઓ રચાય શકે તેમજ ભાગીદાર દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. એક કરતાં વધુ સ્ત્રોતથી નાણાકીય આવક થઈ શકે. પોતાનાં શોખની પૂર્તિ હેતુ નાણાકીય ખર્ચાઓ થાય. જાહેર સામાજીક માન- સન્માન, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. નાના ભાઈ-બહેનો અને મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ, મહાત્વાકાંક્ષાઓ અને ધ્યેયની પૂર્તિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં મિત્રો મદદરૂપ બને.

તુલા: ગુરુ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. સ્વરાશિ મીનનો ગુરુ શારીરિક તંદુરસ્તી બાબતે સભાન બનાવે. તંદુરસ્તીની જાળવણી હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી બીમારીનું કારણ જાણી શકાય. યોગ્ય ડોક્ટર કે યોગ્ય સારવાર મળી રહે. આરોગ્યપ્રદ આદતો અપનાવી શકાય. રોજબરોજના કાર્યો કરવામાં સરળતાનો અનુભવ થાય. પોતાના માટે યોગ્ય ન હોય તેવી વસ્તુઓ, બાબતો કે વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ન અનુભવાય તે બાબતે સભાન રહેવું. કાર્યક્ષેત્રના વાતાવરણમાં સુધારાનો અનુભવ થાય. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના રહે. નવી નોકરી શોધવામાં સરળતા રહે. સહકર્મચારીઓના પૂર્ણ સહકારની પ્રાપ્તિ થાય. વિદેશ સાથેના વ્યવસાયથી લાભ થાય. વકીલ અને ડોક્ટર જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. સહેલાઈથી નવી લોન મળી શકે છે. પુરુષાર્થ દ્વારા નાણાકીય આવકમાં વૃદ્ધિ થઈ શકે. મોસાળપક્ષ સાથેના સંબંધો મધુર બને. કોઈ પ્રાણી પાળવા માટે કે પાલતું પ્રાણી ઘરે લઈ આવવા માટે આ ભ્રમણ અનુકૂળ રહે. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

વૃશ્ચિક: ગુરુ પંચમભાવમાંથી ભ્રમણ કરશે. બૌદ્ધિક વિષયોમાં રુચિ જાગે. બુદ્ધિકૌશલ્ય દ્વારા ભાગ્યનું નિર્માણ કરી શકો. સર્જનાત્મકતા અને કલ્પનાશીલતા ખીલી ઉઠે. પરિણીત યુગલો માટે સંતાનજન્મને આવકારવાં માટે આ સમય શ્રેષ્ઠ રહે. અગાઉથી સંતાન ધરાવતાં જાતકોના સંતાન સાથેના સંબંધ મધુર બને. સંતાનને લીધે સુખ અને આનંદની અનુભૂતિ થાય. સંતાન તેમનાં પોતાનાં જીવનમાં પ્રગતિ સાધી શકે. યુવાનોના જીવનમાં પ્રણયસંબંધનું આગમન થઈ શકે છે. હ્રદય પ્રેમની નાજુક અનુભૂતિ કરે. જીવનને માણવાની ઈચ્છા ધરાવો. મનોરંજન અને રમત-ગમત પાછળ સમય વ્યતીત કરી શકાય. શરીરમાં મેદવૃદ્ધિ થવાની સંભાવના રહે. નવા મિત્રો મળે કે લાંબા સમયથી વિખૂટાં પડી ગયેલાં મિત્ર સાથે ફરી મેળાપ થાય. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. પિતા અને મોટા ભાઈ-બહેનોનો સહકાર મળે. ધાર્મિક વલણમાં વધારો થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ થઈ શકે. મંત્રજાપથી આધ્યાત્મિક ઉન્નતિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. અભ્યાસમાં ઈચ્છિત પ્રગતિ કરી શકાય. ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળતાઓ પેદા થાય.

ધનુ: ગુરુ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગની રચના થશે. સકારાત્મકતાનો આનંદ માણી શકો. હવે મકાનમાંથી ઘર બનવાની શરૂઆત થઈ શકે છે. ઘર-પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. ઘરમાં સુખ, આનંદ અને સલામતીની અનુભૂતિ થાય. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે છે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. ઘર માટે સુખ-સગવડોના સાધનોની ખરીદી થઈ શકે. માનસિક શાંતિનો અનુભવ થાય. બહારની દુનિયાની પળોજણો કરતાં મનની શાંતિ વધુ અગત્યની બને. ઘરમાં રહીને કામ કે અભ્યાસ કરી શકાય. માતા સાથેનો સંબંધ મધુર બને. કૌટુંબિક પરંપરાઓ અને રિવાજો સાથે જોડાણ સાધી શકાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય અનુકૂળ રહે. નવી નોકરી મળવામાં સરળતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવા સાહસની શરૂઆત કરી શકાય. બિનજરૂરી ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી જરૂરી બને. સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકોને સફળતા મળે.   

મકર: ગુરુ તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. પુસ્તકો વાંચવા, લેખનકાર્ય કરવું, નવા કોર્સમાં જોડાવું કે કશુંક નવું શીખવા માટે આ ભ્રમણ યોગ્ય રહે. મીડિયા અને કોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. લખાણો, સંવાદ અને ચર્ચાઓ દ્વારા લાભની પ્રાપ્તિ થાય. વાતચીતો અર્થસભર અને ઊંડાણભરી બને. સર્જનાત્મક અભિગમ ખીલી ઉઠે. વિચારોને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકો. લેખકો માટે આ ભ્રમણ ઈશ્વરની કૃપા વરસાવનાર બની રહે. ભાઈ-બહેનોની વધુ નજીક જઈ શકાય. તેમની સાથેનાં સંબંધ મધુર બને. પાડોશીઓ અને સંબંધીઓ મદદરૂપ બને. સામાન્ય રીતે ગુરુનું તૃતીયસ્થાનમાંથી ભ્રમણ વારંવાર લાંબા અને ટૂંકા યાત્રા-પ્રવાસો કરાવે છે. પરંતુ હાલ કોરોના વાઈરસના પ્રકોપને લીધે યાત્રાઓ કરવાનું ટાળવું હિતાવહ રહે. નોકરીમાં બદલી થઈ શકે. વ્યવસાયમાં ભાગીદારીમાં કાર્ય થઈ શકે. નવી ભાગીદારી અને નવી મિત્રતા રચાય શકે છે. નાણાકીય આવકમાં વધારો થાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની પ્રબળ સંભાવના રહે. પરિણીત જાતકો લગ્નજીવનમાં સુખ-શાંતિની અનુભૂતિ કરી શકે. સામાજીક વર્તુળમાં વધારો થાય. ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આ ભ્રમણ અનુકૂળ રહે. 

કુંભ: ગુરુ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. આર્થિક પ્રગતિ થાય. નાણાકીય આવક અને નફામાં વૃદ્ધિ થાય. ભૂતકાળની આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાય અને ભવિષ્ય માટે બચત કરી શકાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓના સાથ-સહકારની પ્રાપ્તિ થાય. નવા કાર્યોની શરૂઆત થઈ શકે. અટકેલાં કાર્યો આગળ વધે. આ સમય લોન લેવા માટે અરજી કરવા કે નાણાકીય સંસ્થાઓ સાથે કરારો કરવા માટે અનુકૂળ રહે. કુટુંબના સભ્યો સાથેના સંબંધ મધુર બને. કુટુંબમાં શુભ અને માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે. વાણી દ્વારા વિચારોને વાચા આપવામાં સરળતા રહે. વાણીની મધુરતા લોકોને સાંભળવા મજબૂર કરે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. શારીરિક તંદુરસ્તી અને સુખાકારી બની રહે. ડોક્ટરની મુલાકાત લેવાથી બચી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

મીન: ગુરુ જન્મલગ્ન/પ્રથમ ભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગની રચના થશે. જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ અને સકારાત્મકતાનો સંચાર થાય. ભાગ્યનો સાથ મળી રહે. શારીરિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થાય. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. આમ છતાં દેખાવ બાબતે સભાન બનો અને કસરત-યોગ-ધ્યાનની શરૂઆત કરો તેવું બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની પ્રબળ સંભાવના બને. પરિણીત જાતકોના લગ્નજીવનમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમજ જીવનસાથી સાથેનો સંબંધ મધુર બને. ગુરુનું આ ભ્રમણ સંતાનજન્મને આવકારવાં માટે પણ શ્રેષ્ઠ રહે. યુવા જાતકો જીવનમાં પ્રણયની અનુભૂતિ કરી શકે. પ્રિયજન સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. ધાર્મિક કાર્યો કે પ્રવૃતિઓ થઈ શકે. સ્વબળે નાણાકીય આવકમાં વૃદ્ધિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો થાય. અભ્યાસમાં ઈચ્છિત પ્રગતિ થઈ શકે. 

ટિપ્પણીઓ

Sridhar એ કહ્યું…
Thank you for the information .
Vinati Davda એ કહ્યું…
@Sridhar, Thank you for your comment.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા