ભૂલ – આધ્યાત્મિક વિકાસનું પગથિયું
બે પ્રકારના આત્માઓ ક્યારેય ભૂલ નથી કરતા. એક કે જેઓ આ પૃથ્વી પર હજુ અવતર્યા નથી અને બીજા એ કે જેઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા છે. જો તમે ભૂલ કરી હોય અને તમને એનો અફસોસ હોય તો ખુશી મનાવો કે તમે આ પૃથ્વી પર હાજરા હજૂર છો અને જીવિત છો! આત્મા શા માટે આ પૃથ્વી પર જન્મ લે છે? દરેક આત્મા એક ચોક્કસ પાઠ શીખવા માટે પૃથ્વી પર અવતર્યો હોય છે. આત્માએ શીખવા માટે નક્કી કરેલો પાઠ કુંડળીમાં રહેલા આત્મકારક ગ્રહ પરથી જાણી શકાય છે. એ પાઠ શીખીને, આધ્યાત્મિક પ્રગતિ સાધીને, ઈશ્વરની વધુ નજીક સરકવું અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરવી એ દરેક આત્માનુ અંતિમ લક્ષ્ય હોય છે. ભૂલો એ હંમેશા પાઠ શીખવાનો ભાગ હોય છે અને ભાગ્ય સાથે જોડાયેલી હોય છે. ભૂલ એટલે શું? એક એવું કર્મ કે જે કરી રહ્યા હોય ત્યારે એનો બિલકુલ એહસાસ નથી હોતો અને જે પાછળથી પીડા અને વેદના લઈને આવે છે. ક્યારેક નોકરી ગુમાવવાની વેદના તો ક્યારેક સંબંધ ગુમાવવાની વેદના, ક્યારેક પૈસા તો ક્યારેક પ્રતિષ્ઠાની હાનિ, તો ક્યારેક જીવ સુદ્ધા ગુમાવીને ભૂલની પીડા ભોગવવી પડે છે. જીવનમાં આવતી દરેક વેદના એ સાધનાની શરૂઆત માટે પ્રસ્તાવ લઈને આવે છે. પીડા, વેદના, દુઃખ, ત...