શિવ અને શનિ
સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: ।
મંદચાર: પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ: ॥
આ મંત્ર(સ્તોત્ર)માં શનિને શિવપ્રિય કહેવામાં
આવ્યાં છે. ભગવાન શિવ શનિના આરાધ્ય છે, તો શિવજીને પણ શનિદેવ અત્યંત પ્રિય છે. કહેવાય છે કે
ઉપાસકમાં ઉપાસ્યના ગુણ આવી જાય છે. શિવ મૃત્યુના દેવતા છે અને ત્રિદેવમાં તેમને સંહારક
માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ મૃત્યુનો કારક ગ્રહ છે અને પાપીઓ માટે
હંમેશા સંહારક છે.
શનિદેવ પોતાની બાળપણ અવસ્થામાં ઘણાં ક્રોધી હતા.
સૂર્યના પુત્ર હોવાને લીધે તેજ અને શક્તિથી ભરપૂર હતા. દરેક બાબતને ઊંડાણપૂર્વક
જાણવી અને હઠ કરવી એ તેમનો સ્વભાવ હતો. ભાઈ-બહેનો સાથે ઝઘડાં કરતાં અને હઠ કરીને
બધાંને દુ:ખ પહોંચાડતા. સૂર્યદેવે જ્યારે જોયું કે શનિની હેરાનગતિ દિવસે-દિવસે વધી
રહી છે ત્યારે તેઓ તેને લઈને ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે પૂરી સમસ્યા સાંભળી
અને સમજીને સૂર્યદેવને કહ્યું કે આપ ચિંતા નહિ કરો. હું શનિને એવું કાર્ય સોંપુ
છું જે સૌથી કઠિન અને જવાબદારી ધરાવતું છે. ત્યારબાદ ભગવાન શિવે શનિદેવને કહ્યું
કે આજથી આપ સૃષ્ટિમાં થનાર ન્યાય અને અન્યાયનું કાર્ય સંભાળશો અને વરદાન આપીને બધો
કાર્યભાર શનિદેવને સોંપી દિધો. ત્યારથી શનિદેવ ‘ન્યાયના
દેવતા’ કહેવાયા.
શનિને શિવજી પાસેથી જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત થઈ એટલે તેમણે શિવજીને જ પોતાના ગુરુ
ધારણ કરી લીધાં.
શનિદેવને
શિવજી તરફથી દંડાધિકારીની પદવી પ્રાપ્ત થયેલ છે. તે દેવ, દાનવ, મનુષ્ય વગેરે સર્વેને દંડ આપી હેરાન કરવા માટે સમર્થ છે. ક્રૂર ગ્રહ શનિ
દુ:ખનો કારક માનવામાં આવ્યો છે. વાસ્તવમાં આપણાં દુ:ખનું કારણ આપણાં કર્મો હોય છે.
શનિ તો નિષ્પક્ષ ન્યાયધીશની માફક ખરાબ કર્મોના આધારે વર્તમાન જન્મમાં દંડની જોગવાઈ
કરે છે. જાતકના અગાઉ કરેલાં અશુભ કર્મોનો દંડ દેવામાં શનિ તો નિમિત્ત માત્ર છે.
દોષ તો જાતકના પોતાનાં કર્મોનો જ હોય છે.
શનિદેવની
ન્યાયપ્રિયતાથી ગુરુદેવ શિવ પણ બચી શક્યાં નહોતાં. એક વખત શનિદેવ ભગવાન શંકરના ધામ
હિમાલય પહોંચ્યાં. ગુરુદેવ ભગવાન શંકરને પ્રણામ કરી બોલ્યાં, ‘હે પ્રભુ! હું કાલે
આપની રાશિમાં આવવાનો છું. અર્થાત મારી વક્ર દ્રષ્ટિ આપ પર પડવાની છે.’ શનિદેવની વાત સાંભળી ભગવાન શંકર હતપ્રભ થઈ ગયા અને બોલ્યાં, ‘હે શનિદેવ! આપ કેટલાં સમય સુધી આપની વક્ર દ્રષ્ટિ મારા પર રાખશો.’ શનિદેવ કહે, ‘હે નાથ! કાલે સવા પ્રહર સુધી આપ પર
મારી વક્ર દ્રષ્ટિ રહેશે.’ શનિદેવની વાત સાંભળી ભગવાન શંકર
ચિંતિત થઈ ગયા અને શનિની દ્રષ્ટિથી બચવાનાં ઉપાયો વિચારવા લાગ્યાં. બીજે દિવસે
ભગવાન શંકરે મૃત્યુલોકમાં હાથીનું રૂપ ધારણ કરી લીધું. સવા પ્રહર જેટલો સમય હાથીના
રૂપમાં વ્યતીત કર્યો. સાંજ પડતાં ભગવાન શંકરે વિચાર્યુ કે હવે દિવસ વીતી ચૂક્યો છે
અને શનિની દ્રષ્ટિની તેમનાં પર કોઈ અસર નહિ થાય. આમ વિચારી ભગવાન શંકર કૈલાશધામ
પરત ફર્યા. પ્રસન્ન મુદ્રામાં જેવાં કૈલાશ પર્વત પર પહોંચ્યાં તો જોયું કે શનિદેવ
એમની રાહ જોઈ રહ્યાં હતાં. ભગવાન શંકરને જોઈને શનિદેવે પ્રણામ કર્યા. ભગવાન શંકરે
હસીને કહ્યું, ‘આપની દ્રષ્ટિની મારા પર કોઈ અસર ન થઈ.’ આ સાંભળી શનિદેવ
હસ્યાં અને બોલ્યાં, ‘મારી દ્રષ્ટિથી ન દેવ બચી શકે છે ન
દાનવ. ત્યાં સુધી કે આપ પણ મારી દ્રષ્ટિથી બચી ન શક્યાં.’ આ
સાંભળી ભગવાન શંકર આશ્ચર્યચકિત થઈ ગયાં. શનિદેવે કહ્યું, ‘મારી
દ્રષ્ટિને લીધે જ આપે સવા પ્રહર માટે દેવયોનિ છોડીને પશુયોનિમાં જવું પડ્યું. આ
પ્રકારે મારી વક્ર દ્રષ્ટિ આપ પર પડી ગઈ.’ શનિદેવની
ન્યાયપ્રિયતા જોઈને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને શનિદેવને હ્રદય સરસા ચાંપી
દિધાં. કહેવાય છે કે ત્યારથી શિવજીને શનિદેવ વધુ વહાલાં લાગે છે.
શનિની
દ્રષ્ટિમાં ક્રૂરતાં છે અને તે ક્રૂરતાં તેમની પત્નીના શ્રાપને કારણે છે. બાળપણથી
શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. હંમેશા શ્રીકૃષ્ણના અનુરાગમાં મગ્ન રહેતાં
હતા. વયસ્ક થયાં એટલે પિતા સૂર્યદેવે તેમનાં વિવાહ ચિત્રરથની કન્યા સાથે કરાવ્યાં.
શનિદેવની પત્ની સતી-સાધ્વી અને પરમ તેજસ્વિની હતી. એક રાત્રે તે ઋતુ-સ્નાન કરીને
પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી શનિદેવ પાસે પહોંચી. પરંતુ શનિદેવ શ્રીકૃષ્ણના ધ્યાનમાં
મગ્ન હતાં. તેમને બાહ્ય સંસારની સાનભાન નહોતી. પત્ની પ્રતીક્ષા કરીને થાકી ગઈ.
તેનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો. આથી તેણે ક્રોધિત થઈને શનિદેવને શ્રાપ આપ્યો કે આજથી
તમારી દ્રષ્ટિ નીચી રહેશે. જેને તમે જોશો તે નષ્ટ પામશે. ધ્યાન તૂટવાં પર શનિએ
પત્નીને મનાવી. પત્નીને પોતાની ભૂલ પર પશ્ચાતાપ થયો. પરંતુ તેની પાસે શ્રાપનો
પ્રતિકાર કરવાની શક્તિ નહોતી. ત્યારથી શનિદેવ પોતાનું મસ્તક નીચું રાખવા લાગ્યા.
શનિદેવ નહોતાં ઈચ્છતા કે તેમના દ્રારા કોઈનું અનિષ્ટ થાય. જે રીતે શનિની
દ્રષ્ટિમાં પ્રલય છે તે જ રીતે ભગવાન શિવના ત્રીજા નેત્રને પણ પ્રલય કહેવામાં
આવ્યું છે. એવી માન્યતા છે કે એક દિવસ ભગવાન શિવની ત્રીજી આંખમાંથી નીકળનાર
ક્રોધાગ્નિ આ ધરતીના વિનાશનું કારણ બનશે. ત્રિનેત્રધારી શિવજી અને શનિદેવ બંનેની
દ્રષ્ટિ નાશ કરે છે અને કોઈ તેમને ટાળી શકતું નથી.
એકવાર જ્યારે શનિદેવે પોતાની દ્રષ્ટિનું અનુસંધાન
શિવ પર કર્યું હતું ત્યારે શિવજીનું આ ત્રીજું નેત્ર ખૂલવાં લાગ્યું હતું. વાત એમ
બની હતી કે જન્મથી જ ઉદ્દંડ અને પરાક્રમી એવાં શનિએ એકવાર પોતાના પરિભ્રમણકાળમાં નિયમાનુસાર
ભગવાન શંકર પર આક્રમણ કર્યું. ભગવાન શંકરે શનિને ચેતવણી આપી પરંતુ શનિ ન માન્યો.
પરિણામે શિવ-શનિના યુદ્ધનો પ્રારંભ થયો. શનિએ પોતાનાં અદભૂત પરાક્રમથી નંદી,
વીરભદ્ર તેમજ સમસ્ત
શિવગણોને પરાસ્ત કરી નાખ્યાં. પોતાના સૈન્યબળનો સંહાર જોઈને શિવજી ક્રોધિત થઈ
ઉઠ્યાં. તેમણે
પોતાનાં અમોઘ ત્રિશૂળનું શનિ પર સંધાન કર્યું. શનિ ત્રિશૂળનો આઘાત સહન ન કરી
શક્યાં અને ભયભીત થઈ ગયાં. તેમણે પોતાની દ્રષ્ટિનું અનુસંધાન શિવજી પર કર્યું.
શિવજીનું ત્રીજું નેત્ર ખૂલવાં લાગ્યું. શનિની સાથે સમગ્ર સૃષ્ટિનો નાશ નક્કી
હોવાનું જાણીને ભગવાન સૂર્યએ શિવજીના પગ પકડીને શનિને જીવતદાન આપવા પ્રાર્થના કરી.
શનિએ પણ શિવજીની સર્વસમર્થતાનો સ્વીકાર કરીને વારંવાર ક્ષમા યાચના કરી. શનિદેવે
સ્વયંને શિવ સેવા માટે સમર્પિત કરી દિધાં અને કહ્યું જ્યાં સુધી હું સંસારમાં રહીશ
ત્યાં સુધી શિવનો દાસ બનીને રહીશ. શનિની યાચનાથી ભોળાનાથ સંતુષ્ટ થઈ ગયા. તેમણે
શનિને પોતાના ગણોમાં સ્થાન આપી દિધું.
શિવ
વૈરાગ્ય ભાવ જગાવે છે. શનિ પણ વૈરાગ્યનો કારક ગ્રહ છે. છાયાસુત, સૂર્યપુત્ર, રૌદ્રાન્તક, કૃષ્ણ્મંદ, કૃષ્ણૌ,
પિપ્પલાશ્રય, સૌરિ, શનૈશ્ચર,
કોણસ્થ, મંદ, પિંગળ
જેવાં વિવિધ નામોથી પ્રચલિત શનિદેવ નીલ વર્ણ ધરાવે છે. નીલ રંગ બળ, પૌરુષત્વ અને વીરભાવનું પ્રતીક છે. આકાશ નીલ વર્ણ છે. આ સર્વવ્યાપક રંગ
સહિષ્ણુતાનું પ્રતીક છે. કોઈ નવાઈની વાત છે કે નીલકંઠ વર્ણી શિવ શનિના આરાધ્ય દેવ
છે?
શનિથી
પીડિત વ્યક્તિએ સર્વોચ્ચ ન્યાયાધીશ શિવશંભુના મહામૃત્યુંજય મંત્રના જાપ કરી પીડાથી
મુક્તિ હેતુ પ્રાર્થના કરવી જોઈએ. નિમ્ન લિખિત મહામૃત્યુંજય મંત્ર દરેક પ્રકારના
દુ:ખ અને રોગના નાશ માટે અચૂક છે.
ૐ
ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ।
ઉર્વારુકમિવ બન્ધનાન
મૃત્યોર્મુક્ષીય મામૃતાત ॥
ઓગસ્ટ 2, 2019, શુક્રવારના રોજથી શ્રાવણ
માસનો આરંભ થઈ રહ્યો છે. આ માસ ભગવાન શિવજીનો પ્રિય માસ છે. શ્રાવણ માસમાં કરેલ
શિવપૂજાથી શનિદોષનું શમન થાય છે. શિવપૂજા કરી મહામૃત્યુંજય મંત્રના યથાશક્તિ જાપ
કરવા. શનિવારે શનિમંદિરમાં જઈ શનિદેવની પૂજા-આરાધના કરવી. શ્રાવણના સોમવારના વ્રત
રાખવાથી ભગવાન શંકરની સાથે-સાથે શનિદેવ પણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે.
ટિપ્પણીઓ